મદનમોહન મોલવીય

http://gujarat-help.blogspot.com

મદનમોહન મોલવીય - મહામના તથા ઓજસ્વી દેશભક્ત
http://www.gurjari.net/uploaded/gallery/vishva/madan-mohan-malwiya.jpgઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પ્રયાગના ત્રિવેણીસંગમ પર પ્રભાતના નિરભ્ર, મધુર અને પવિત્ર વાતાવરણમાં સાત વર્ષનો એક દિવ્ય કાંતિ ધરાવતો નાનો કુમાર આસપાસની અસંખ્ય આંખોજે આકર્ષી રહ્યો છે. એ રૂપોજ્જવલ કુમાર સ્વસ્થ ગંભીરતાપૂર્વક શ્રીમદ્દ ભાગવતના શ્લોકોનું પઠન કરી રહ્યો છે. કોઈક પ્રશ્ન કરે છે, ‘કોણ છે આ બાળ ?‘ જવાબ મળે છે, ‘મદનમોહન.
સાત વર્ષની વયે સંસ્કૃત પર આટલો અજબ કાબૂ ધરાવનાર પંડિત મદનમોહન માલવીયનો જન્મ ઈ. ૧૮૬૧ની ૨૫મી ડિસેમ્બરે પ્રયાગમાં કૃષ્‍ણભક્ત પરંતુ અકિંચન પિતા વ્રજનાથને ત્યાં થયો હતો. પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય એ ઉક્તિ અનુસાર બારમે વર્ષે તો મદનમોહને સંસ્કૃત ભાષા પર અદ્દભુત પ્રભુત્વ પ્રાપ્‍ત કર્યું. કૉલેજના પ્રિન્સિપાલ સૌષ્‍ઠવભરી દેહકાંતિ ધરાવતા આ વિદ્યાર્થીને યુવાન પંડિતજ માનતા. કૉલેજની નાટ્યમંડળીઓમાં તે મોટેભાગે સ્ત્રીપાત્રો જ ભજવતા. પંદરમે વર્ષેએમનાં લગ્ન થયાં. અભ્યાસ દરમિયાન ફકકડસિંહઉપનામથી તે કાવ્યો લખતા. સ્નાતક થયા બાદ તેમણે શિક્ષક બનીને કારકિર્દી આરંભી.
ઈ. ૧૮૮૬માં કલકત્તામાં દાદાભાઈ નવરોજીના અધ્યક્ષપદે ભરાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં પોતાના પ્રથમ પ્રવચન દ્વારા ખૂબ વિખ્યાત બન્યા. તેમણે અનેક વૃત્તપત્રોનું સંપાદન કર્યું. હાઈકોર્ટમાં વકાલત પણ કરી હતી. ઈ. ૧૮૯૮માં અલ્લાહાબાદ નગપાલિકાના નાયબ નગરપતિપદે નિયુક્ત થઈ નગરકલ્યાણની પ્રવૃત્તિઓ શરૂ કરી. કાશી વિશ્વવિદ્યાપીઠ (હવે બનારસ હિંદુ યુનિવર્સિટી)ની સ્થાપના માટે દશ વર્ષ અપૂર્વ ખંત, ધીરજ અને અવિશ્રાન્ત પુરુષાર્થ વડે વિપુલ ધનરાશિ એકત્ર કરી અને ત્યારના પ્રિન્સ ઑફ વેલ્સના હાથે તે યુનિવર્સિટીનું ઉદ્દઘાટન કરાવ્યું. કેટલીયે વખત તે કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. જલિયાંવાલા બાગના હત્યાકાંડના અનુસંધાનમાં રચાયેલ હંટર કમિટીનો તેમણે વિરોધ કર્યો. ગાંધીજીએ એમને ધર્માત્મા તરીકે સંબોધ્યા હતા.
ગાંધીજીની અસહકારની ચળવળમાં તેમણે મન મૂકી ઝંપલાવ્યું. પરંતુ કટ્ટર અસહકારનો માર્ગ તેમના રૂઢિચુસ્ત માનસને ખૂંચતો. લાલા લજપતરાયના સાથમાં તેમણે રાષ્‍ટ્રવાદી પક્ષસ્થાપ્‍યો અને વિનીત નીતિ અપનાવી. સાઈમન કમિશનના વિરોધની નેતાગીરી સંભાળી. ઈ. ૧૯૩૦ની ગોળમેજી પરિષદમાં હાજરી આપી. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયની ડૉ. રાધાકૃષ્‍ણનના પ્રમુખપદે ઉજવાયેલી રજતજ્યંતી પ્રસંગે તેમણે છેલ્લીવાર જાહેર દર્શન આપ્‍યું. ઈ. ૧૯૪૬ના નવેમ્બરની ૧૨મીની વહેલી સવારે એમણે પોતાની જીવનલીલા સંકેલી લીધી.
ડૉ. રાધાકૃષ્‍ણન એમને બિરદાવતાં બોલ્યા હતા : તેઓ હિન્દુ સંસ્કૃતિની શોભા હતા. નમ્ર પણ નિર્બળ નહિ, નિશ્ચયી પણ આક્રમક નહિ, એવા મહામના માલવીયજીનો આત્મા મલયાનિલ જેવો નિર્મળ હતો. એમનાં ધવલ વસ્ત્રો એમના હ્રદયની રુચિતાને પરાવર્તિત કરતાં. એમની હાજરી સાક્ષાત્ પવિત્રતા જન્માવતી.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular