હરિનારાયણ આચાર્ય

http://gujarat-help.blogspot.com

હરિનારાયણ આચાર્ય - વ્યાયામપટુ અને પ્રકૃતિતત્વવિદ્
હરિનારાયણ ગિરિધરલાલ આચાર્યનો જન્મ મોસાળ વીરમગામમાં માતા રેવાબાઈને કૂખે ઈ. ૧૮૯૭ના ઑગસ્ટની પચીસમીએ થયો હતો. એમનું વતન ઊંઝા. ઊંઝામાં પ્રાથમિક શિક્ષણનો આરંભ કરી અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃતના વિષય સાથે સ્નાતક થયા. એમનું સંસ્કૃતનું તથા વેદાંત આદિ તત્વજ્ઞાનના વિષયોનું જ્ઞાન કૉલેજકાળથી સારું હતું. કૉલેજમાં અભ્યાસ કરતા ત્યારે પાશ્ચાત્ય પહેરવેશ અપનાવવાને બદલે જાડા કપડાનો ફેંટો અને થેપાડાનો લાંબો કોટ, ટૂંકી ધોતી ને ભારેખમ પગરખાં પહેરી ક્ષોભ રાખ્યા વિના કૉલેજમાં જતા. પરંતુ ગામઠી પોશાક તળે ઢંકાયેલી એમની તેજસ્વી બુદ્ધિ સૌને ચકિત કરી દેતી.
મુંબઈમાં હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે ઈ. ૧૯૧૯માં જોડાયા પછીથી ગાંધીજીએ સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા. પોતાના અધ્યાપનના વિષયોમાં પારંગતતા ઉપરાંત વિશાળ વાચન તથા બહુશ્રુતતાને લીધે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓમાં તેઓ અત્યંત પ્રિય થઈ પડ્યા હતા. વિદ્યાપીઠમાં સેવા આપતા તે ખૂબ માનીતા શિક્ષક બન્યા. તેવામાં એક મિલમાં એ મેનેજર તરીકે જોડાયા. તદૃન અજાણ્યા અને વિપરીત દિશાના આ ક્ષેત્રમાં એમણે એવી કાબેલિયત કેળવી કે ૧૯૪૫માં જ્યારે એ સ્થાન છોડ્યું ત્યારે સૌથી કુશળ અને નિપુણ અધિકારીઓમાં એમની ગણના થતી હતી.
ગામડાંઓમાં ફરીને એમણે લોકગીતો એકત્ર કરેલાં, સિક્કા ભેગા કરેલા અને કવિતાઓ લખી. પ્રકૃતિવિજ્ઞાનના અભ્યાસમાંયે એમનો પ્રવેશ આકસ્મિક હતો. એક અંગ્રેજી માસિકમાં ભારતની દિવાચર પતંગિકાઓનામનો લેખ વાંચ્યો અને એ વિષે જ્ઞાન મેળવવાની ઉત્કંઠા થઈ. જેમાં રસ જાગે તે વિષેનું તલસ્પર્શી જ્ઞાન મેળવી લીધા વિના એમને જંપ ન વળે. ફુરસદના સમયમાં ચોતરફ આથડે અને પરિણામે ગ્રન્થોના વાચનથીયે અદકું એવું પ્રાણી-જીવનના વિવિધ પાસાઓનું જ્ઞાન એમણે સંપાદન કર્યું. ઈ. ૧૯૨૪માં એમને દમ થયો. પડછંદ હાડવાળું મજબૂત શરીર કૃશ બની ગયું. દમ હઠાવવા વ્યાયામ શરૂ કર્યો. દમ મટાડ્યો અને શરીર સુષ્‍ઠુ, બલિષ્‍ઠ અને દીપ્તિમાન બનાવ્યું. વ્યાયામ વિષેનું એમનું જ્ઞાન જોઈને વડોદરાના પ્રો. રામમૂર્તિ એમના પર આફરીન થયા હતા.
અનેકવિધ વિષયોનું તલસ્પર્શી જ્ઞાન હોવા છતાં ને અમુક વિષયોમાં તો એ માન્ય તદ્વિદ્ ગણાતા હોવા છતાં, એમનામાં જાતજાહેરાતનો અભાવ હોવાને કારણે જાહેરમાં પ્રખ્યાત થવાનો પ્રયાસ એમણે ક્યારેય કર્યો નહોતો. પ્રકૃતિવિજ્ઞાનની એમની ગુણવિશેષતાને લીધે ઈ. ૧૯૪૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને અર્પણ થયો હતો. એમના પ્રયાસથી ગુજરાતમાં ગુજરાત પ્રકૃતિમંડળની સ્થાપના થઈ હતી. ઈ. ૧૯૬૯માં વ્યાવસાયિક નિવૃત્તિ પછી તેઓ પોતાના વિદ્યાવ્યાસંગમાં સતત રત રહેતા. છેલ્લે છેલ્લે પગની શસ્ત્રક્રિયાને કારણે લગભગ પથારીવશ હતા.
આ બહુશ્રુત પ્રકૃતિતત્વવિદ્દનું અવસાન ઈ. ૧૯૮૪ના મે માસની ૨૨મી તારીખે મધરાતે ૮૬ વર્ષની વયે થયું.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular