http://gujarat-help.blogspot.com/
સરોજિની નાયડુ
ભારતનું બુલબુલસરોજિની નાયડુ એટલે ભારતની પ્રજાને પ્રેરણા અને જીવનર્દષ્ટિ આપનાર અભિજાત કવયિત્રી અને દેશના નૈરાશ્ય અને ઔદાસ્યના કપરા કાળમાં જનતામાં આશાને ઉલ્લાસનો સંચાર કરનાર નેત્રી. પોતાના કાવ્યગાનની ધારા અને કવિત્વભરી વાક્છટા વડે દેશદેશાંતરમાં ‘ભારતનાં બુલબુલ‘ તરીકે તે વિખ્યાત થયાં હતાં. વિદ્વાન, સંસ્કારી બંગાળી બ્રાહ્મણ અઘોરનાથ ચટ્ટોપાધ્યાયને ત્યાં નિઝામ હૈદરાબાદમાં ઈ. ૧૮૭૯ની ૧૩મી ફેબ્રુઆરીએ એમનો જન્મ થયો હતો. અઘોરનાથ સંસ્કૃતપ્રેમી અને શાસ્ત્રજ્ઞ હતા. માતા વરદાસુંદરીએ થોડાં સુંદર બંગાળી ગીતો રચ્યાં હતાં.
બારમે વર્ષે મેટ્રિક પસાર કરી, રાજ્યની શિષ્યવૃત્તિ મેળવી જ્યારે તે ઇગ્લેન્ડ અભ્યાસ કરવા ગયાં ત્યારે તો તેમની કવિતાનો સ્ત્રોત વહેવા લાગી ગયેલો. વિલાયતમાં સમર્થ વિવેચકોનું માર્ગદર્શન મળતાં એ કાવ્યનિર્ઝરમાંથી શુદ્ધ ભારતીયતાનો કલરવ સંભળાવા લાગ્યો. ભારતનાં વૈવિધ્યપૂર્ણ જીવન, પ્રકૃતિ તથા મહિમામય ભૂતકાળને સરોજિનીએ સુંદર રીતે આલેખ્યો છે. એમની કવિતાની અને એમાં ર્દશ્યમાન થતી ભારતીયતાની કદર કરીને લંડનની રૉયલ સોસાયટી ઑફ લિટરેચરે એમને પોતાનાં સભ્ય બનાવ્યાં હતાં.
ઈ. ૧૮૯૭માં સ્વદેશ આવી એમણે હૈદરાબાદના ડૉ. ગોવિંદ રાજુલુ નાયડુ સાથે લગ્ન કર્યાં. સરોજિની હૈદરાબાદ શહેરમાં એક અગ્રગણ્ય વ્યક્તિ બની રહ્યાં. મહર્ષિ ગોખલે દ્વારા રાજકારણમાં પ્રવેશવાની તેમને પ્રેરણા મળી. ત્યારથી શરૂ કરી છેક જીવનના અંત સુધી દેશની કટોકટી વખતે ગાંધીજીની સાથે મોરચા પરની પહેલી હરોળમાં તે રહેતાં. લાગલગાટ ૩૫ વર્ષ સુધી તેમણે પોતાની શકિતઓનો રાષ્ટ્રોદ્ધારના કામે લગાડી. હિંદી સ્ત્રીઓની આજની સુધરેલી હાલત એમના જેવાંને જ આભારી છે. આ દેશના સ્ત્રીત્વના લુપ્ત મહિમાને પુનઃ સ્થાપિત કરવા માટેનો એમનો ઉદ્યમ સુવિદિત છે. એમનું વક્તૃત્વ કાવ્યમય, મધુર અને અસ્ખલિત હતું. એમના કાવ્યસંગ્રહોમાં ‘ગોલ્ડન થ્રેશોલ્ડ‘, ‘પોએમ્સ ઑફ લાઈફ ઍન્ડ ડેથ‘, ‘બર્ડ ઑફ ટાઇમ‘ અને ‘બ્રોકન વિંગ‘ સમાવિષ્ટ થાય છે. લખનૌમાં મળેલી કૉંગ્રેસની ૪૦મી બેઠકના તેઓ પ્રમુખ હતાં. મીઠાનો દાંડી-સત્યાગ્રહ ચલાવવા માટે જ્યારે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી ત્યારે આ સત્યાગ્રહનું સંચાલન કરવાનો સઘળો ભારત સરોજિની પર આવી પડ્યો હતો. પરિણામે તેમણે પણ ગિરફતાર કરવામાં આવ્યાં હતાં.
એમની પુત્રી પદ્મજા નાયડુને બંગાળનાં રાજ્યપલ બનાવવામાં આવ્યાં હતાં. સરોજિની પણ આઝાદી પછી યુક્ત પ્રાંતનાં ગવર્નર બન્યાં હતાં. એ સ્થાન પર ફરજ બજાવતાં જ લખનૌમાં ઈ. ૧૯૪૯ની બીજી માર્ચની રાત્રે તે અવસાન પામ્યાં.
ભારતીય સ્વાધીનતા સંગ્રામ દરમિયાન ગાંધીજી સાથે સહયોગમાં રહી સેવા આપવા બદલ તથા ભારતીય સાહિત્યની શ્રીવૃદ્ધિ માટે તેમને સદૈવ યાદ કરવામાં આવશે.
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site