ડૉ. પ્રાણજીવનદાસ મહેતા -

http://gujarat-help.blogspot.com

ડૉ. પ્રાણજીવનદાસ મહેતા - આયુર્વેદ ચિકિત્સાપદ્ધતિના પ્રખર પુરસ્કર્તા
પાશ્ચાત્ય ચિકિત્સાવિજ્ઞાનના પારગામી વિદ્વાન, યશસ્વી ચિકિત્સક તથા આયુર્વેદના પ્રખર પુરસ્કર્તા ડા. પ્રાણજીવનદાસ મહેતાનું નિધન ૮૨ વર્ષની ઉંમરે ઈ. ૧૯૭૯ના માર્ચની પંદરમી તારીખે થયું. જામનગરમાં અભ્યાસ કર્યા બાદ મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં દાકતરી-વિદ્યાનું અધ્યયન કરી તેઓ ઈ. ૧૯૧૪માં એલ. એમ. ઍન્ડ એસ., ઈ. ૧૯૨૩માં એમ.ડી. અને ઈ. ૧૯૨૮માં એમ. એસ. થયા હતા.
ચિકિત્સાક્ષેત્રમાં એમની એક મિશનરીની શ્રદ્ધા અને ધગશપૂર્વકની કાર્યનિષ્‍ઠાભરી ભાવનાઓથી આકર્ષાઈને જામનગરના જામસાહેબે દિગ્વિજયસિંહજીએ એમને રાજ્યના મુખ્ય મેડિકલ ઑફિસર તરીકે નિયુક્ત કર્યા હતા. આ જવાબદારી ઉઠાવતાં એમનું કર્તવ્ય ઓર દીપી ઊઠ્યું. આ જ અરસામાં નિયતિના કોઈ અદ્દભુત સંકેતથી ડૉ. મહેતા આયુર્વેદ પ્રતિ આકર્ષાયા અને એમણે ભારતની આ પ્રાચીન ચિકિત્સાવિદ્યાનું અધ્યયન અને અનુશીલન કર્યું. પરિણામે આયુર્વેદની વિશેષતાઓ અનુભવીને એમણે પોતાની સમગ્ર શક્તિ અને પ્રતિભા આયુર્વેદશાસ્ત્રના અધ્યયન, અનુશીલન, વિકાસ અને પ્રસાર માટે સમર્પિ‍ત કરી દીધી. રાજ્ય તરફથી પણ એમના આ કાર્યમાં સર્વ પ્રકારની સહાય મળી. પરિણામે ભગીરથ પુરુષાર્થ અને વ્યવસ્થિત આયોજન કરીને જામનગરના મહારાણી ગુલાબકુંવરબાની સહાયથી જામનગરમાં આયુર્વેદ સોસાયટી, આયુર્વેદ કૉલેજ, સ્નાતકોત્તર આયુર્વેદ ટ્રેનિંગ સેન્ટર, આયુર્વેદ મુદ્રણાલય વગેરે અનેક સંસ્થાઓ ઊભી કરીને જામનગરને આયુર્વેદશાસ્ત્રનું વિદ્યાધામ બનાવી દીધું. ડૉ. મહેતાના પ્રયત્નોથી ગુજરાત યુનિવર્સિટીમાં પણ આયુર્વેદની વિદ્યાશાખાનો સમાવેશ કરવામાં આવ્યો.
આવી અનુકૂળ પૃષ્‍ઠભૂમિકા અને ડૉ. મહેતાની કર્તવ્યનિષ્‍ઠ તથા આયોજનશક્તિ જોઈને ગુજરાત સરકારે ઈ. ૧૯૬૬માં ભારતભરમાં સર્વપ્રથમ અને અજોડ એવી આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના કરી. આ સમસ્ત વિરાટ આયોજન પાછળ ડૉ. મહેતાની આયુર્વેદ-ભક્તિ, કાર્યપ્રતિષ્‍ઠા અને વ્યાપક ર્દષ્ટિ કારણભૂત હતી. જામનગરના રાજપરિવારનો પણ આયુર્વેદના આ નવપ્રબોધની પ્રવૃત્તિમાં પૂર્ણ સહકાર હતો.
ભારતભરમાં અજોડ એવા સૂર્ય ચિકિત્સામંદિર‘ (સોલેરિયમ)ની સ્થાપનામાં પણ ડૉ. મહેતાએ અગ્ર ભાગ ભજવ્યો હતો. વિશદ શાસ્ત્રીય વ્યાખ્યા, સ્પષ્‍ટીકરણ અને વિવિધ વાચનાઓ સહિત એમણે ચરક સંહિતાનું મોટા છ ગ્રંથોમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. ત્રિદોષ વિજ્ઞાનમ્‘, આતુર ચિકિત્સાવિજ્ઞાનમ્વગેરે જેવા અભ્યસનીય ગ્રંથો ઉપરાંત એમણે બસો જેટલા શોધનિબંધો લખ્યા છે. ગુજરાત રાજ્ય અને ભારતની અનેક વિદ્યાસમિતિઓ, કાર્યસમિતિઓ તથા આયુર્વેદ શોધ-સંસ્થાઓ સાથે પણ તેઓ સક્રિયપણે સંકળાયેલા હતા. એમની આ વિપુલ સેવાઓ અને સાધનાના સમ્માનમાં જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીએ ઈ. ૧૯૭૬માં એમને ડી. લિટ્.ની માનદ પદવીથી નવાજ્યા હતા. પોતાનાં વિવિધ કર્તૃત્વો અને આયોજનોને લીધે તેઓ એક જીવંત સંસ્થા સમા બની ગયા હતા.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular