ડૉ.ભીમરાવ આંબેડકર

http://gujarat-help.blogspot.com/

ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકર 
ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના મઉ ગામમાં ઈ. ૧૮૯૧ના એપ્રિલ માસની ૧૪મી તારીખે મહાર કુટુંબમાં થયો હતો. પિતા રામજી આંબેડકર લશ્કરી સૂબેદાર હતા. તેઓ કબીરપંથી ભક્ત હતા. માતાનું નામ હતું ભીમબાઈ. આ પરિવારનું મૂળ વતન રત્નાગિરિ જિલ્લાના દાપોલી તાલુકાનું આંબવડે ગામ હતું. આથી તેમની અટક આંબેડકર પડી હતી.
ચૌદ વર્ષની વયે ભીમરાવનાં લગ્ન રમાબાઈ સાથે થયાં હતાં. ઈ. ૧૯૩૫માં રમાબાઈનું અવસાન થતાં ઈ. ૧૯૪૮માં ભીમરાવે બીજું લગ્ન મુંબઈના સારસ્વત બ્રાહ્મણ કુટુંબનાં ડૉ. શારદા કબીર સાથે કર્યું હતું. શારદા પછીથી સવિતા નામે ઓળખાતાં થયાં હતાં.
ભીમરાવનું પ્રાથમિક શિક્ષણ સતારામાં થયું. મુંબઈમાંથી બી.એ. થયા પછી વડોદરા રાજ્યની આર્થિક સહાયથી અમેરિકા જઈ ઈ. ૧૯૧૫માં એમ. એ. તથા ઈ. ૧૯૧૬માં પીએચ.ડી. થયા. ભારત આવી મુંબઈની સિડનહામ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ ઍન્ડ પોલિટિકલ સાયન્સમાંથી એમ. એસસી. અને ડી. એસસી.ની ડિગ્રી મેળવી હતી. બેરિસ્ટરની પરીક્ષા પણ તેમણે પાસ કરી હતી.
ઈ. ૧૯૪૨થી તેમણે મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. અસ્પૃશ્યોના વિકાસ માટે બહિષ્‍કૃત હિતકારિણી સભા‘ સ્થાપી હતી. બહિષ્‍કૃત ભારત‘ નામનું પખવાડિક તેમજ જનતા‘ અને સમતા‘ નામનાં સામયિક પણ શરૂ કરેલાં. સવર્ણો અને અસ્પૃશ્યો વચ્ચે સમાનતા સ્થપાય એવા તેમના પ્રયાસો હતા.
ઈ. ૧૯૨૭માં ડૉ. આંબેડકરે સંઘર્ષનો માર્ગ અપનાવેલો અને મહાડ ગામના મીઠા પાણીના તળાવનો ઉપયોગ અસ્પૃશ્યો કરી શકે તે માટે આંદોલન ઉપાડ્યું અને સફળ થયા. હરિજનોના મંદિરપ્રવેશ માટે પણ તેમણે લડાઈ આપી હતી. ધીમે ધીમે ડૉ. આંબેડકર અંત્યજોના નેતા અને ઉત્તમ ન્યાયવિદ્દ તરીકે સુખ્યાત થયા. ઈ. ૧૯૨૬થી ઈ. ૧૯૩૪ સુધી તેઓ મુંબઈ ધારાસભામાં નિયુક્ત થયા હતા. લંડનમાં ભરાયેલી ત્રણ ગોળમેજી પરિષદોમાં અંત્યજોના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. ઈ. ૧૯૩૨માં પૂના કરાર‘ મુજબ હરિજનોને અનામત બેઠકો તેમણે અપાવી હતી.
ઈ. ૧૯૩૮માં તેમણે શીખ ધર્મનો સ્વીકાર કર્યો અને ઈ. ૧૯૫૬માં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. ઈ. ૧૯૩૮માં તેમણે ઇન્ડિયન લેબર પાર્ટીની સ્થાપના કરી. ઈ. ૧૯૪૨માં શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન‘ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી. અંત્યજોનાં બાળકોની કેળવણી માટે આર્થિક સહાય અને નોકરીમાં અનામત જગ્યાઓ મેળવી. તેઓ બંધારણ સમિતિના સભ્ય નિયુક્ત થયા હતા. બંધારણ ઘડવાના મુસદ્દાની કમિટીના તેઓ અધ્યક્ષ હતા. ઈ. ૧૯૪૭માં સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તેઓ કાયદાપ્રધાન બન્યા. પછીથી તેમણે રાજીનામું આપ્‍યું હતું.
બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તે ધર્મની અખિલ વિશ્વપરિષદોમાં હાજરી આપી હતી ને ધર્મપ્રચાર માટે ભારતીય બુદ્ધ મહાસભાની સ્થાપના કરી હતી. તેમણે સમાજરાજકારણ અને અર્થશાસ્ત્રને લગતાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે.
ભારત સરકારે ઈ. ૧૯૯૦માં તેમને મરણોત્તર ભારતરત્નના ખિતાબનું સર્વોચ્ચ માન અર્પણ કર્યું હતું.
ઈ. ૧૯૫૬માં તેમનું અવસાન થયું.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular