http://gujarat-help.blogspot.com/
લીઓનાર્દો દ વિચી

એક મહાન ચિત્રકાર તરીકે લીઓનાર્દો વિશ્વવિખ્યાત છે. માત્ર આંગળીને વેઢે ગણાય એટલાં જ એનાં ચિત્રસર્જનો આજે આપણી પાસે છે. છતાં એક નિશાળિયો પણ ‘મોના લિસા‘ના સર્જક તરીકે લીઓનાર્દોથી પરિચિત હશે. ઇટાલીના વિંચી નામના એક નાના ગામની નજીકમાં ઈ. ૧૪૫૨ની ૧૫મી એપ્રિલે એમનો જન્મ થયો. સર પીએરો દ વિંચી અને સામાન્ય કુટુંબની એક બાઈ કેટેરિનાનો એ અનૌરસ પુત્ર. તેનું બાળપણ દાદાની જાગીર પર વીત્યું. એના શિક્ષણ માટે સારો પ્રબંધ હતો. પરંતુ સ્વચ્છંદી અને ચંચળ હતો. ઘણું ઘણું શીખવાનું એ શરૂ કરતો અને પછી વચ્ચેથી જ છોડી દેતો. ગણિતમાં એ પારંગત હતો. બાર વર્ષ સુધી લીઓનાર્દો વેરોકિયો નામના શિલ્પી સાથે રહ્યો. દિવસભર સખત પરિશ્રમ કરી ચિત્રકલાને એણે સુસાધ્ય કરી. અઢાર વર્ષની વયે દેવળોમાં ચિત્રો બનાવવાનું સ્વતંત્ર કામ તેમને મળવા લાગ્યું. વિજ્ઞાનમાં પણ એને ઘણો જ રસ હતો. ખળખળતું, ઊછળતું, ધસમસતું પાણી સદાય એના આકર્ષણનું કારણ બન્યું છે. પોતાના લખાણોમાં અને આલેખનોમાં પાણીને લગતી અનેકવિધ નોંધ કરી છે.
જિનેવ્રા દ બેન્સી, ઍડોરેશન ઑફ મેજાઈ, સેન્ટ જેરોમ, ઍનન્સીએશન વગેરે કૃતિઓ તેમના કલાજીવનના પ્રારંભની કૃતિઓ છે. ઈ. ૧૪૮૨માં મિલાનના ડ્યૂક લ્યૂદોવિકો ઈલ મૉરોને કામ આપવા અરજી કરી તેમાં ઓછા વજનવાળા પુલ બનાવવાની, ખાઈઓનાં પાણી સૂકવી નાખવાની, ભૂગર્ભ માર્ગો યોજવાની, ગગનચુંબી કિલ્લાઓ ભોંયભેગા કરવાની, પથ્થરોનો વરસાદ વરસાવતાં યંત્રો બનાવવાની વગેરે પોતાની અનેક શક્તિઓની યાદી આપી હતી. અંતે તેને મિલાનમાં આશ્રય મળી ગયો. ત્યારના ગાળામાં બનાવેલું ‘ધી લાસ્ટ સપર‘ આજે પણ લીઓનાર્દોની ચિત્રપ્રતિભાને કોઈ આંબી ન શકે એટલી ખાતરી કરાવે છે. મિલાનમાં હવા-ઉજાસવાળાં નવાં મકાનો અને ભૂગર્ભ ગટરોની યોજના પણ તેણે વિચારી હતી. લોમ્બાર્ડીનાં હરિયાળાં ખેતરોની યોજનાને જ આભારી છે. છેવટે મિલાન ફ્રાન્સને કબજે જતાં લીઓનાર્દોને મિલાન છોડવું પડ્યું.
હવે લીઓનાર્દોને ઉડ્ડયનના અભ્યાસમાં રસ પડ્યો. તેણે હવાઈ છત્રીની કલ્પના કરી હતી. ઈ. ૧૫૧૬ના પાછલા ભાગમાં તેને ફ્રાન્સથી આમંત્રણ મળ્યું. અહીં તેને નિરાંત મળી. લીઓનાર્દો વિખ્યાત પ્રાચીન કવિ ઑવિડને તો પચાવી ગયેલો. પ્લેટો, એરિસ્ટૉટલ, હેરિસ, પ્લિની અને વિટ્રુવીઅસને તેણે વાંચ્યાં હતાં. એની કલ્પના પરથી જ આજની મશીનગનો ને તોપગોળાનો વિકાસ થયો છે. નેત્રવિદ્યામાં પણ તેણે જ્ઞાન મેળવેલું. શરીરની અંદરની સૂક્ષ્મ રક્તવાહિનીઓ અને મજ્જાતંતુઓનું તેણે વર્ણન કર્યું હતું. ખગોળનો અભ્યાસ કરી તેણે શોધી કાઢ્યું કે સૂર્ય ફરતો નથી. આટલી પ્રખર પ્રતિભા છતાં તેણે આદરેલાં કાર્યો અધૂરાં રહ્યાં. એના યંત્રકૌશલ્યનો ભાગ્યે જ કોઈએ લાભ લીધો.
વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા એને મૃત્યુની ઝાંખી કદાચ થઈ હતી. પોતાનું વસિયતનામું બનાવી ઈ. ૧૫૧૯ના મે માસની બીજી તારીખે એનું અવસાન થયું. એના આશ્રયદાતા રાજા ફ્રાંસિસે કહ્યું હતું કે, ‘લીઓ નાર્દો જેટલું જ્ઞાન ધરાવનારો અન્ય કોઈ આખી પૃથ્વી પર પાક્યો નથી.‘
No comments:
Post a Comment
Thankyou So Much for Comment
plz Visite Again
bookmark this site