લચ્છુ મહારાજ


લચ્છુ મહારાજ - કથક નૃત્યની પરંપરાના મૂર્ધાભિષિકૃત જ્ઞાતા

http://www.gurjari.net/uploaded/gallery/vishva/lachhu-maharaj.jpgઉત્તર ભારતના કથક નૃત્યની પરંપરાના મૂર્ધાભિષિકૃત જ્ઞાતા અને ગુરુ લચ્છુ મહારાજ કથક નૃત્યની પ્રાણવત્તાના કેન્દ્ર સમાન ગણાતા. બિદાદીન મહારાજ એના પ્રતિષ્‍ઠાપક અને જનક હતા. એમના કલાવારસાને ઉત્તમ રીતે સાચવવા અને દીપાવવામાં શંભુ મહારાજ, લચ્છુ મહારાજ તથા અચ્છુ મહારાજ એ ત્રણે ભાઈઓનુ; આગવું મહત્વ છે. લચ્છુ મહારાજે ઉસ્તાદ ફૈયાઝખાં પાસે સંગીતની તાલીમ લીધી હતી. પિતા પંડિત કાલિપ્રસાદજી શ્રેષ્‍ઠ તબલાંનવાઝ હતા. લચ્છુ મહારાજનું મૂળ નામ પંડિત બૈજનાથજી હતું.
જીવનના ચાર દાયકા જેટલો સમય એમણે મુંબઈમાં વિતાવ્યો હતો. તે દરમિયાન રામરાજ્યથી માંડી એક હી રાસ્તા‘, ‘મુઝે જીને દો‘, ‘મુઘલે આઝમ‘, ‘તીસરી કસમ‘, ‘પાકિઝા‘, વગેરે સુધીની અનેક ફિલ્મોમાં એમણે નૃત્ય-દિગ્દર્શન કર્યું હતું. માલતી માધવથી લઈને ગૌતમ બુદ્ધને રાધાકૃષ્‍ણલીલાસંબંધી અનેક વિષયો સાથે એમણે કથાશૈલીમાં ઘણી નૃત્ય-નાટિકાઓનું સર્જન પણ કર્યું હતું. રાજસ્થાન, પંજાબ, હૈદરાબાદ વગેરે રાજ્યોમાં પણ એમણે પોતાનાં મૂલ્યો દ્વારા કથક અને લખનૌ ઘરાનાનું નામ રોશન કર્યું હતું. મનના ભાવોને સંગીતમય બનાવીને એની તાલબદ્ધ રજૂઆતમાં એની કલાક્ષમતા અનુપમ હતી. આવી જ રીતે ઠુમરી, દાદારા, પૂરવી ખયાલ વગેરે ગાયકીમાં પણ એમની પ્રવીણતા એટલી જ ખ્યાતિ પામી હતી. સંગીતની સેંકડો ચીજોએમને કંઠસ્થ હતી. ઈ. ૧૯૫૭માં સંગીતનાટક અકાદમીએ એમની કલાશક્તિને પુરસ્કારથી નવાજી હતી. ઈ. ૧૯૭૪માં એમને પદ્મશ્રીનું માન આપવાનું પણ સરકારે વિચારેલું પરંતુ લચ્છુ મહારાજે તેનો અસ્વીકાર કર્યો હતો.
એમને મન કથક એ ભગવાન કૃષ્‍ણ અને શિવનું નૃત્ય હોઈ એની શાસ્ત્રશુદ્ધિના તેઓ ચુસ્ત હિમાયતી હતા. કથા વિના કથકનું મહત્વ નથી એમ તેઓ માનતા. પરંતુ કથકમાં થતાં નવાં ઉમેરણો તેમને અસ્વીકાર્ય હતાં. મુઘલ સમયમાં શુદ્ધ કથકમાં પેસી ગયેલાં આવાં નવાં તત્વોને કારણે જ એ નાચનારીઓનું નૃત્યુ ગણાવા લાગેલું એમ તેઓ માનતા. કથકની શુદ્ધતા જાળવવા અંગેના એમના આગ્રહને કારણે અમુક ઉચ્ચ કોમોની વ્યક્તિ સિવાય અન્યને કથક શીખવવાના પણ તેઓ વિરોધી હતા.
આજના બધા સુખ્યાત કથક નૃત્યકારો એક રીતે એમના શિષ્‍યો છે. કેવળ તાલઠેકાના ગણિતમાં બંધાઈ રહેલા કથકને તેમાંથી મુક્ત કરીને એમણે તેમાં ભાવસંચેતનાની પ્રાણપતિષ્‍ઠા કરી એ એમનું સૌથી મોટું પ્રદાન હતું.
ઈ. ૧૯૭૮ના જુલાઈની ઓગણીસમી તારીખે ૭૭ વર્ષની વયે એમનું અવસાન થયું.

No comments:

Post a Comment

Thankyou So Much for Comment

plz Visite Again

bookmark this site

today's Popular